ભાવનગર-

ભાવનગરનાં રજવાડા સમયની સ્ટેટની બોર્ડર પાસે ૧૫૦ વર્ષ જૂનો વન્યજીવો શિકાર માટે દંડ ફરમાવતો પત્થર મળી આવ્યો છે. ભાવનગરમાં આવેલ બ્લેકબક નેશનલ પાર્ક નાં એ.સી. એફ. ડૉ.મહેશ ત્રિવેદી દ્વારા તાજેતરમાં નેશનલ પાર્ક થી લગભગ ૨૦ કી.મી. દૂર દેવપરા ગામની બોર્ડર પાસે આરસ પર કોતરેલી એક સૂચના મળી આવી છે. આ પત્થર ની કોતરણી મહારાજા ભાવસિંહજી બીજા નાં સમયની ગણવામાં આવે છે કારણકે તેમના સમયગાળા દરમિયાન વન્ય પ્રાણીઓને લઈને ઘણા નિયમો બન્યા હતા. આ લખાણ પણ ૧૮૯૦ થી ૧૯૧૧ સુધીના સમયગાળા નું ગણી શકાય. લખાણ અનુસાર ભાવનગર માં પરવાનગી સિવાય કોઈપણ પ્રાણીનો શિકાર કરી શકાય નહિ અને શિકાર કરનાર વ્યક્તિને ૧૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આજથી દોઢસો વર્ષ પહેલાં સો રૂપિયાનો દંડ લગભગ અધધ ગણી શકાય.

ત્યારે ભાવનગર સ્ટેટ માં ફક્ત વન્યપ્રાણીઓના બચાવ માટે મહારાજનો આવો વિચાર સરાહનીય અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો છે. અત્યારે જ્યાં આ પત્થર આવેલો છે ત્યાં ભાવનગર સ્ટેટ ના સમયમાં રાણીઓ ની વિડ હતી. પહેલાના રાજા અને રાણીઓ માટે વીડ કે જંગલનો વિસ્તાર રહેતો. આઝાદી બાદ અહીં મીઠાના અગરો બન્યા અને જંગલ વિસ્તારમાં આ પત્થર એમને એમ રહી ગયો. આટલા વર્ષો પાણી અને ધૂળ, વરસાદ સામે રક્ષણ પામીને એ પત્થરનું એમને એમ રહેવું પણ આશ્ચર્યજનક ઘટના છે. આર્કિયોલોજી વિભાગ દ્વારા જાે અહીં કોઈ રિસર્ચ કરવામાં આવે તો આ પથ્થર ચોક્કસ કેટલા વર્ષ જૂનો છે તેનો ખ્યાલ આવી શકે.

બીજા રજવાડાઓ જ્યારે બેફામ શિકાર કરતા ત્યારે ભાવનગર નાં રજવાડાઓમાં પરવાના વિના શિકાર કરવાની મનાઈ હતી. ૧૯૭૨ માં વન્યપ્રાણી સંરક્ષણ માટે નિયમ લાગુ થયો તેની અડધી સદી પહેલા પણ ભાવનગર માં શિકાર કરવા માટે ઘણા પ્રતિબંધો હતા. આજથી ૧૫૦ વર્ષ પહેલાં જ્યારે ૧૦૦ રૂપિયામાં અઢળક સોનું આવી શકતું હોય ત્યારે લોકોને શિકાર માટે દંડ કરવો સાબિતી છે કે ભાવનગર નાં રજવાડાઓ પ્રાણી પ્રેમી હતા. એ સમયે તો ક્યાં પ્રાણીનો, કેટલા શિંગાડા વાળું, નર કે માદા વગેરે લખીને પરવાનગી મળતી અને એમાં શરતચૂક થાય તો પણ દંડ થતો.