ભુજ-

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપે અનેક પરિવારોને તબાહ કરી નાખ્યા હતા. તો વળી કેટલાક એવા લોકો પણ હતા કે જેમના માનસિક સંતુલનો ખોરવાઈ ગયા હતા. આવો જ એક શખસ કે જેમણે માનસિક સંતુલન ગુમાવી દેતાં તેના પરિવારજનોએ સુખપર લઈ જઈને સાંકળથી બાંધી નાખ્યો હતો, જેનો નવ વર્ષ બાદ આજે છુટકારો થયો હતો. સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે, સચિનસિંહ વાઢેર કે જેનો પરિવાર ભૂકંપ પહેલાં સોનીવાડ વિસ્તારમાં રહેતો હતો અને તે પોતે પણ એક સમયે ભુજનો અવ્વલ દરજ્જાનો ક્રિકેટર કહેવાતો હતો.

સચિનસિંહ વાઢેરનો એક ભાઈ પોલીસમાં જ્યારે બીજાે ભાઈ મજૂરી કરીને પેટિયું રળે છે. ભૂકંપ આવ્યો તેના દોઢેક વર્ષમાં જ સચિનસિંહની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને તે શહેરનાં રખડીને લોકોના વાહનોને પથ્થરો મારતો તેમજ લોકોને નુકસાન પહોંચાડતો હતો. મજૂરી કરતા ભાઈએ થોડા વર્ષો સુધી તેની સેવા કરી પણ આખરે તે પણ આર્થિક રીતે તૂટી જતાં સચિનને લઈને પોતાના ગામ સુખપર ચાલ્યો ગયો અને માનસિક અસ્થિર બનેલા સચિનસિંહને સાંકળ વડે બાંધી નાખ્યો હતો. તેને બે ટાઈમ જમવાનું અને પાણી આપવામાં આવતું હતું તે સિવાય તેની કોઈ જ દરકાર કરવામાં આવતી નહોતી.

ભાઈની પણ આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી તેથી બીજી વ્યવસ્થા તો શું કરી શકે? તેમ છતાં પણ તેણે ભાઈ પત્પેની જવાબદારી નિભાવી હતી. સચિનસિંહને કપડાં પહેરવાનું તો ભાન હતું જ નહીં તેથી તે ર્નિવસ્ત્ર જેવી હાલતમાં ક્યારેક સૂનમૂન તો ક્યારેક હસતો બેસી રહેતો. આ દરમ્યાન હેમેન્દ્ર જણસારીને તે બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક સુખપર દોડી જઈને તેમના ભાઈની સાથે મુલાકાત કરી અને માનવ અધિકારના કાયદા વિશેની વિસ્તૃત સમજ આપીને સચિનસિંહને બંધનમુક્ત કરાવ્યો હતો.