વડોદરા ઃ ધોળા દિવસે દારૂના નશામાં કાર હંકારતા કારચાલકે જેતલપુર રોડથી અકોટા દિનેશ મિલ રોડ પર પસાર થતી એક બોલેરોને જાેરદાર ટક્કર મારતાં બોલેરો રસ્તા પર આવેલ સાંઈબાબા મંદિરમાં ઘૂસી જતાં મંદિરની દીવાલને નુકસાન થયું હતું. સદ્‌નસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને નશેબાજ કારચાલકને ઝડપી પાડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. કારચાલક નશાની હાલતમાં હોવાથી પોલીસ સાથે પણ ઘર્ષણ ઉપર ઉતરી આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર આજે બપોરના સમયે ખાનગી બેન્કમાં નોકરી કરતા વિરાજસિંહ નામની વ્યક્તિ દારૂનો નશો કરી પૂરઝડપે કાર ચલાવીને અલકાપુરી જેતલપુર બ્રિજ નીચેથી અકોટા દિનેશ મિલ તરફ જતો હતો તે વખતે જેતલપુર રોડ પર અકોટા તરફ જતી બોલેરોને ટક્કર મારતાં બોલેરો રોડ પર આવેલ સાંઈબાબા મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ બનાવને પગલે મંદિરની દીવાલ ધરાશાયી થતાં મોટું નુકસાન થયું હતું. અકસ્માતના બનાવને પગલે રાહદારીઓ અને સ્થાનિક લોકોનાં ટોળાં ભેગાં થઈ જતાં નશેબાજ કારચાલક વિરાજસિંહને ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જાે કે, વિરાજસિંહ પોલીસની ગાડીમાં બેસવા માટે પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિરાજસિંહ ખાનગી બેન્કોમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.