દાહોદ, દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૧૮ વર્ષ પૂર્ણ થતાંની સાથે જ મતદારયાદીમાં નામ નોંધવનારા યુવા મતદારોને બેઝ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ જણાવ્યું કે, ભારતીય બંધારણને આપણા દેશના તજજ્ઞોએ ઘડ્યું છે. તેમાં નાગરિકોને કેટલાક અધિકારો આપ્યા છે. એ પૈકી એક અધિકાર મતદાન કરવાનો છે. એટલે સૌ નાગરિકો પોતાને મળેલા બંધારણીય અધિકારનો ઉ૫યોગ કરે એ જરૂરી છે. તેમણે ચૂંટણી પંચની બને સૌ મતદાર, સશક્ત, સજાગ અને જાગૃત એવી થીમની જાણકારી આપતા કહ્યું કે, નાગરિકો મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય એ તે માટે સક્રીય બને એ પણ જરૂરી છે.

આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા યુવામતદારો, નોડેલ ઓફિસર સ્વીપ, શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામતદાર, ચૂંટણી, સુપરવાઇઝર, મતદાર સાક્ષરતા ક્લબ, ચૂંટણી પાઠશાળા, કેમ્પસ એમ્બેસેડર, કોમ્પ્યુટર ઓપરેટર સહિતનું સન્માન કરવામાં આવ્યું છે. પ્રારંભે સ્વાગત પ્રવચન ચૂંટણી મામલતદારે કર્યું હતું. આ વેળાએ નાયબ કલેક્ટર એમ. એમ. ગણાવા અને રાજેન્દ્ર ગામેતી સહિતના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.