ચેન્નેઇ-

તમિલનાડુમાં દરોડા દરમિયાન CBI એ 103 કિલોગ્રામથી વધુ સોનુ જપ્ત કર્યું હતું. 45 કરોડ રૂપિયાની કિંમતના આ સોનાને CBIની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ આ સોનું હવે અહીંથી ગાયબ થઈ ગયું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ CBIને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

જણાવી દઈએ કે, CBIની ટીમે વર્ષ 2021માં ચેન્નઈની સુરાના કોર્પોરેશન લિમિટેડની ઑફિસમાં દરોડા પાડ્યા હતા. CBI એ રેડ દરમિયાન ત્યાંથી સોનાની ઈંટો અને ઘરેણા સહિત 400.5 કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. જપ્ત કરેલા સોનાને સીલ કરીને CBI ની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી 103 કિલોગ્રામથી વધુ સોનું ગાયબ છે.

આ અંગે CBI તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, સેફ અને વૉલ્ટ્‌સની 72 ચાવીઓ ચેન્નઈની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટને સોંપી દેવામાં આવી હતી. CBI તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, દરોડા દરમિયાન જ્યારે સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે સોનાને એક સાથે જ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે CBI અને સુરાના વચ્ચે લોનના મામલાના નિકાલ માટે નિયુક્ત કરવામાં આવેલા લિક્વિડેટરને સોંપતા સમયે વજન અલગ-અલગ કરવામાં આવ્યું છે. આજ કારણ છે કે, સોનાના વજનમાં અંતર જાેવા મળી રહ્યું છે.

જસ્ટિસ પ્રકાશે CBI ની દલીલને ફગાવતા આ મામલે SP રેન્કના અધિકારીની આગેવાનીમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ 6 મહિનાની અંદર કરવાનો આદેશ આપતા જસ્ટિસ પ્રકાશે કહ્યું કે, CBI  સમગ્ર મામલે FIR દાખલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ CBI માટે અગ્નિ પરીક્ષા હોઈ શકે છે, પરંતુ તેનું કશું જ નહીં થઈ શકે. જાે સીતાની જેમ તેઓ પવિત્ર હશે, તો બચી જશે નહીં તો તેમને તેની સજા ભોગવવી જ રહી