આણંદ : આણંદના બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા સિક્સ લેન રોડ બનતાં સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં મોટો ફેરો થતો હતો. આ અંગે સરકારમાં સંબંધિત તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જાેકે, બહેરાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ વાત ધ્યાને લેવામાં આવી ન હતી. બીજી બાજું હાઇવેનું કામ રાબેતા મુજબ ચાલું રાખતાં આજે ગ્રામજનો વિફર્યા હતાં. આ લડતને લઈ ડભાસીના ગ્રામજનોએ આજે હાઇવે ઉપર ચક્કાજામ કરતાં આણંદનું પોલીસ તંત્ર દોડતું દોડતું પહોંચ્યું હતું. ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવાં સમજાવ્યાં હતાં. દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થતાં ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં વિફરેલાં આંદોલનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં આઠ પોલીસ જવાનો ઘાયલ થયાં હતાં.
૬ હજારથી વધુની વસતિ ધરાવાતાં બોરસદના ડભાસી ગામમાં ૩ હજારથી વધુની વસતિ સામેની સાઇડ ઉત્તર દિશામાં રહે છે. હાઇવે બનતાં તેઓને ગામમાં અવરજવર કરવા માટે કોઇ રસ્તો ન હોવાથી પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ઉપરાંત પ્રાથમિક શાળા અને બે આંગણવાડીઓ પણ સામેની બાજુએ આવેલી છે. જેને લઈ બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ સમસ્યાને લઈ ડાભાસીના રહેવાસીઓને અવરજવર માટે ૪ કિલોમીટરનો લાંબો ફેરો ફરીને ગામમાં પહોંચવું પ છે. ગ્રામીણ પ્રજાના નાણાં અને સમય બંનેનો દુર્વ્યય થતો હોવાથી ગ્રામજનોએ આ મુદ્દે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. જાેકે, ગામલોકોની ફરિયાદ જાણે બહેરા કાને અથડાઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. અંતે આજે સવાર સવારમાં જ ગિન્નાયેલાં ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બન્યાં હતાં.
નવાઈની વાત તો એ છે કે બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડનું કામ શરૂ થાય તે પહેલા ડભાસી પાટીયા પાસે આ માર્ગ નીચે ગરનાળંુ કે અંદરપાસ મૂકીને અવરજવરનો રસ્તો આપવામાં આવે તેવી માગ સાથે ડભાસીના ગ્રામજનોએ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ અને સાંસદ મિતેશ પટેલને વારંવાર રજૂઆત કરી હતી. આટલું જ નહીં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ચૂક્યાં હતાં. અધિકારીઓ કે રાજકારણીઓએ આ પ્રશ્નને ક્યારેય ગંભીરતાથી ન લેતાં અંતે નોબત અહીં સુધી પહોંચી હતી.
એક સ્થાનિક ગ્રામજને કહ્યું હતું કે, અમે માણસ છીએ. ભલે નાના છીએ, પણ તકલીફ તો અમનેય પડે છે. ગાડીઓમાં ફરતાં સાંસદ, ધારાસભ્યને અમારી તકલીફ મહેસુસ થઈ નથી. એક ગામના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયાં છીએ. ગ્રામજનોની અવરજવરમાં પડતી તકલીફો બાબતે સરકારી તંત્ર તેમજ ચૂંટાયેલ ધારાસભ્યો અને સાંસદે ગંભીરતા ન દાખવતા છેવટે ગ્રામજનો પોતાની રજૂઆતોની માગ સાથે કાયદો હાથમાં લેવા મજબૂર બન્યાં હતાં.
૧૦૦૦થી વધુ ગ્રામજનો હાઇવે પર ઊતરી આવ્યાં!
ડભાસીના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ટોળા સાથે પોતાની માગના સૂત્રોચ્ચાર સાથે હાઇવે ઉપર પહોંચી ચક્કાજામ કરતાં મોટો ઊહાપોહ અને ધાંધલ મચી ગઈ હતી. ૧૦૦૦ ઉપરાંત આંદોલનકારી ગ્રામજનો હાઇવે માર્ગ ઉપર ઊતરી આવતાં થોડી વાર માટે તો અહીંથી પસાર થતાં વાહનચાલકો પણ ડઘાઈ ગયાં હતાં. ગ્રામલોકોએ માર્ગ ઉપર કપચી અને મોટા પથ્થરો મૂકી દીધાં હતાં.
પોલીસ મામલો થાળે પાડે એ પહેલાં કાંકરી ચાળો થયો?
ગ્રામજનોની સંખ્યા જાેઈને મામલો ગંભીર ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે આણંદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોને સમજાવ્યાં હતાં. જાેકે, મામલો થાળે પડતો જણાતો નહોતો. ઘટના સ્થળે ક્યાંકથી કાંકરીચાળો થતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. જેને લઈ ગ્રામજનો પણ વિફર્યાં હતાં અને મામલો વધુ બીચક્યો હતો.
પોલીસની લાઠી સામે ગ્રામજનોનો પથ્થરમારો!
પોલીસ અને ગ્રામજનો વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. પોલીસની લાઠી સામે ગ્રામજનો અને આંદોલનકારીઓએ પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. મોટી સંખ્યામાં આંદોલનકારીઓ દ્વારા પોલીસ કાફલા ઉપર અચાનક હુમલાથી પોલીસ ડઘાઈ ગઈ હતી. આ હિંસક ઘર્ષણમાં પોલીસના જવાનો ઘાયલ થયાં હતાં અને પોલીસના વાહનોને ભારે નુકસાન થયું હતું.
એક સમયે પોલીસ જવાનો જીવ બચાવી ભાગવાનો વારો આવ્યો!
આંદોલનકારી ગ્રામજનો હિંસક બની પોલીસ ઉપર બેફામ પથ્થરમારો કરતાં પોલીસ જવાનો જીવ બચાવી ભાગવાનો વારો આવ્યો હતો. આજુબાજુ ના ખેતરોમાં પોલીસ જવાનો પથ્થબાજીથી બચવા દોડાદોડ કરી મૂકી હતી. જાેકે આંદોલનકારી ગ્રામજનોના આ હુમલામાં ૮ જેટલાં પોલીસ જવાનો ઘાયલ થયાં હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો દોડી આવ્યો
આ હિંસક ઘટનાને લઈને વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. ગ્રામજનોએ હાઇવેની બંને તરફ બેસી જઈ ચક્કાજામ કર્યું હતું. આ ઘટનાએ હિંસક સ્વરૂપ લેતાં આણંદના એસપી અજીત રાજીયાણ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ જિલ્લાભરના પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને મામલો કાબૂમાં લીધો હતો.
૧૦૦થી વધુ તોફાની તત્વોને અટકાયતમાં લેવાયાં
ડભાસી પાસે પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણને લઈને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચેલાં એસપી અજીત રાજીયાણે જણાવ્યું હતંુ કે, ગરનાળાને લઈને અપાયેલાં ચક્કાજામ દરમિયાન મામલો બીચક્યો હતો. જાેકે હાલમાં સ્થિતિ એકદમ નિયંત્રણમાં છે અને પોલીસ પર પથ્થરમારો કરીને ઈજાઓ પહોંચાડનારા ૧૦૦થી વધુ તોફાની તત્વોને અટકાયતમાં લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાત્કાલિક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આસપાસના પોલીસ મથકો, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે ગોઠવી દેવામાં આવી હતી. પથ્થરમારો કરીને ફરાર થઈ ગયેલાં તોફાની તત્વોને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ડીએસપીના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાશે.
૮ પોલીસ જવાનોને પથ્થરમારામાં ઈજા પહોંચી
બોરસદ પાસે આવેલાં ડભાસીના ગ્રામજનો દ્વારા ગરનાળું બનાવવાને લઈને સ્ટેટ હાઇવે પર કરેલાં ચક્કાજામથી મામલો બીચક્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ઉશ્કેરાયેલાં ટોળાંએ પથ્થરમારો કરતાં ૮ જેટલાં પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જવાનોને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પોલીસના કેટલાક વાહનોની પણ તોડફોડ કરાઈ હતી.
Comments