ચાદોદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આજે તીર્થક્ષેત્ર ચાંદોદ આવી પહોંચ્યા હતા અને નર્મદા કિનારે પોતાના સ્વર્ગસ્થ પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરી હતી.કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું નિધન થતાં સદગત પિતાની શ્રાદ્ધ ક્રિયા તેમજ અસ્થિ વિસર્જન માટે તેઓ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. તીર્થ ગોર પિનાકીન મહારાજ દ્વારા સદગતની વિધિ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ નાવડી મારફતે ત્રિવેણી સંગમ પહોંચીને હાર્દિક પટેલ દ્વારા પિતાના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ટાણે ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ભરતભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું હતું. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઇ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતાં.