અમદાવાદ, થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી જ્યારે વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં તેનો હેલ્થ ચેકઅપ કરાયો હતો. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિજય રુપાણીને ત્યાં જ દાખલ કરાયા હતા અને કોરોનાની સારવાર આપવામાં રહી છે.

ત્યારે હવે વા સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાને માત આપી છે. આજે સવારે થયેલો તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી વિજય રુપાણી હવે કોરોના મુક્ત થયા છે. આ પહેલાં ૧૪ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બ્લડ સ્યૂગર ઘટી ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા, જેને પગલે થાક અને તણાવને કારણે ચક્કર આવતા સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.