ગાધીનગર-

રાજ્યમાં વિકાસમાં ગ્રામ્ય વિસ્તારોનો મહત્વનો ફાળો છે. ત્યારે શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ ગામોના સરપંચોને ‘મારૂં ગામ કોરોના મુક્ત ગ્રામ’ અભિયાનને સફળ બનાવી જનજાગૃતિથી કોરોના સંક્રમણથી પોતાના ગામને મુક્ત રાખવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ ગ્રામીણ સરપંચો સાથે સેટકોમના માધ્યમથી ‘ગ્રામ વિકાસની વાત, મુખ્યમંત્રીને સાથ’ના નવિન અભિગમ અન્વયે સહજ સંવાદ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી સાધ્યો હતો. સરપંચોને CM રૂપાણીએ જણાવ્યું હતું કે, જેમ ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’નો સંકલ્પ તમે સૌએ સતર્કતા, જવાબદારી અને સૌના સહયોગથી પાર પાડ્યો છે, તેવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં આ કોરોના વેક્સિન પણ સૌને મળે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થામાં સક્રિય સહભાગી બનશો. જે ઢબે ચૂંટણીમાં પોલિંગ બૂથ હોય છે અને પોલિયો રસીકરણ માટે પણ બૂથ બનાવી છેવાડાના વ્યક્તિ સુધીના અંતિમ છૌરના લોકોને આવરી લેવામાં આવે છે. તે જ પદ્ધતિએ કોરોના વેક્સિન માટે પણ આવા બૂથ બનાવી સરપંચો, પદાધિકારીઓ, ગ્રામજનો સૌના સહયોગથી કોરોના વેક્સિનનો ડોઝ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું પારદર્શી અને સુદ્રઢ આયોજન કરાશે. આ વેક્સિનને છેક ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાની સમગ્ર સપ્લાય ચેઇન, વેક્સિનના સંગ્રહ અને પ્રિઝર્વેશન માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ સામે સરકારના આરોગ્યલક્ષી પગલાઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, સરકારે રેમિડિસિવીર અને ટોસિલોઝૂમેબ જેવા મોંઘા ઇન્જેકશનો કોરોના સંક્રમિત જરૂરતમંદોને વિનામૂલ્યે આપવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ મળીને રૂપિયા 108 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યભરના 1472 PHC, 362 CHC, 9000 સબ સેન્ટર અને શહેરી ક્ષેત્રોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સંબંધિત કામગીરી સારવાર છેલ્લા 8 મહિનાથી ‘કોરોના હારશે, ગુજરાત જીતશે’ના લક્ષ્ય સાથે આરોગ્ય કર્મીઓ નિભાવી રહ્યા છે. ગ્રામીણ સરપંચો સમક્ષ ડિજિટલ સેવાસેતુ અને કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની ફિલ્મો પણ પ્રસ્તૃત કરવામાં આવી હતી.