ગંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ 2020-21નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષા ત્રિવેદીને સંયુકતપણે અર્પણ કરાયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં બંન્ને એવોર્ડ વિજેતાઓને ખાસ એવોર્ડ માટે ગાંધીનગર આંમત્રિત કરી એવોર્ડ એનાયત કર્યા હતા. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શાલ દ્વારા એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

વડાપ્રધાન મોદીની પ્રેરણાથી પોતાના વતન વડનગરમાં વર્ષ 2003થી તાના-રીરી સંગીત મહોત્સવ યોજાય છે, નરસિંહ મહેતાની બંન્ને દોહિત્રીના સમાધિ વડનગરમાં આવેલી છે. આથી દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું તાના-રીરી સમાધિ સ્થળ સમીપે આયોજન કરવામાં આવે છે, તેમજ આ મહોત્સવમાં એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની વિશિષ્ટ સ્થિતિમાં CMએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ અનુરાધા પોંડવાલ અને વર્ષા ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

2010માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંન્ને બહેનોને તેમજ 2011-12માં પદ્મભુષણ ગિરીજાદેવી, 2012-13માં કિશોરી આમોનકર, 2013-14માં બેગમ પરવીન સુલ્તાના, 2014-15માં સ્વર યોગીની ડો. પ્રભા અત્રે તેમજ 2016-17માં મંજુ મહેતા અને ડો. લલીથ રાવને તથા 2017-18માં પદ્મશ્રી આશા ભોંસલે અને 2018-19માં વિદૂષી રૂપાંદે શાહ અને 2019-20માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે.