ગાંધીનગર-

કોરોના મહામારીના કારણે સિનેમા ઘરો અને જીમ્નેશીયમ બંધ હતા. મહામારીના કારણે બંધ હોવાથી તે લોકોને ખબૂ આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે. આખરે સંક્રમણ ઓછું થવાથી ગુજરાત સરકારે સિનેમા અને જીમ્નેશીયમ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવી. જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રી એ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.