ગાંધીનગર-

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની 6 ટકા સબસિડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને 0 ટકા વ્યાજે લોન મળતી થશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારિતાની સંકલ્પનાનો મૂળમંત્ર નાના માણસોની મદદ કરવાનો છે. આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું. મુખ્યપ્રધાને માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ વ્યક્ત કરી હતી. આત્મનિર્ભર ગુજરાત યોજના બની ત્યારે સ્પષ્ટ હતું કે, આ કામ રાજ્યની સહકારી બેંકો જ કરી શકશે. સહકારી બેંકો ગ્રાહક સાથે આત્મીય સંબંધ ધરાવે છે. સહકારી બેંકોમાં સહકારિતાનો ભાવ, નાના માણસોને મદદ કરવાની લાગણી, નાના માણસોની વેદના-વ્યથા અને તકલીફ સમજી શકવાની ક્ષમતા સવિશેષ જોવા મળે છે. કોરોના જેવી મહામારી સદીમાં એકવાર આવતી હોય છે તેવા સમયે સહકારી બેંકોએ તેમનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી જાણ્યું છે. નાના માણસો, છૂટક વેપાર, મજૂરી કરતા, રોજનું કમાઈને રોજ ખાતાં લોકોને સહકારી બેંકોએ 01 થી 2.5 લાખની લોન આપી લોકડાઉનમાં જે આર્થિક ખાંચો પડયો હતો તેને પૂરી આપ્યો છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારી બેંકોએ રાજ્યના અઢી લાખ લોકોને કુલ 2500 કરોડનું ધીરાણ આપ્યું છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ માં રાજ્યની 10 લાખ બહેનોને 1 લાખ જૂથ રચી 1000 કરોડનું ધીરાણ આપવાનૂં લક્ષ્ય છે. યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય-નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય. જેમ એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન. તે રીતે મહિલા જૂથોને આર્થિક સહાય માટે પણ આપણે પ્રોએક્ટિવ અભિગમ અપનાવ્યો છે.