આણંદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ જિલ્લાના સુંદલપુરા ખાતે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ.ના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઇ ચાલતાં વિવિધ વિભાગોનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારત બાયોગેસ એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભરત પટેલે રાસાયણિક ખાતર અને કીટનાશકોના વધુ પડતાં ઉપયોગના કારણે આજે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવાં અનેક રોગો વધતાં જાય છે ત્યારે તેની ચિંતા કરીને પોતાની વિવેક બુદ્ધિથી આ પ્લાન્ટની સ્થાપના કરી પ્રાકૃતિક ખેતીનો સરાહનીય પ્રયાસ કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એવું પણ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતી કરવા તરફ કિસાનો આગળ વધે એ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણના જતનની સાથે પાણીની પણ બચત થાય છે, તેટલું જ નહીં પણ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉપજમાં કોઇ ઘટાડો થતો નથી. વધુ સારી ઉપજ મળવાથી તેનાં ભાવો પણ વધુ મળે છે. કિસાનોની આવક બમણી થાય અને ઉન્નતિની દિશામાં પ્રાકૃતિક ખેતી મહત્વભનું અંગ બની રહેશે. એકત્ર કરવામાં આવેલાં ગાયના ગોબરની કેવી રીતે માવજત કરવામાં આવે છે, તેમજ બાયો-સીએનજી, લેબોરેટરી અને ઓર્ગેનિક ખાતર પ્લાન્ટનું નિરીક્ષણ કરવાની સાથે રાજ્યપાલે જરૂરી જાણકારી પણ મેળવી હતી. રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લો વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાન, જિલ્લા પશુપાલન અધિકારી સ્નેહલ પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.