વડોદરા : ખંડેરાવમાર્કેટ ચાર રસ્તા પાસે આજે બપોરે નવાપુરા પોલીસે માસ્ક વિના ફરતા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી માટે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મેઈનરોડ પર આવેલી ગોકળદાસ મિઠાઈવાલા નામની દુકાનના કાઉન્ટર પર બેઠેલા સંચાલકે માસ્ક પહેર્યું ન હોઈ પોલીસે તેમને માસ્ક નહિ પહેરવા બદલ દંડ ભરવા માટે જણાવ્યું હતું. જોકે દુકાનના સંચાલકે હું હમણા જ બહારથી આવ્યો છું અને પરસેવો થતા મોંઢુ લુછવા માટે માસ્ક કાઢ્યુ છે તેવી દલીલ કરી હતી અને પોલીસ જવાનોને હું દંડ નહી ભરુ , તમારાથી થાય તે કરી લો તેમ કહીને તકરાર કરી પોલીસ કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. આ વિવાદના પગલે અન્ય વેપારીઓ સહિતનું ટોળું ભેગુ થતા પોલીસ ત્યાંથી રવાના થઈ હતી. આ બનાવની નવાપુરા પોલીસે ગોકળદાસ મિઠાઈવાલાના સંચાલક વિરુધ્ધ જાહેરનામાનો ભંગ અને પોલીસ કામગીરીમાં વિક્ષેપનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.