દિલ્હી

દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યુ છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ 19(1)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે.

અદાલતેકહ્યુ છે કે, કલમ ૬૬એ અભિવ્યકિતની આઝાદીના મૂળ અધિકારનો ભંગ છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે ફેસબુક, ટ્‌વીટર, લિંકડ ઇન વ્હોટ્‌સએપ જેવી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર કોઇપણ પોસ્ટ મુકવા બદલ કોઇની ધરપકડ થઇ નહિ શકે. આ પહેલા કલમ ૬૬એ હેઠળ પોલીસનેએ અધિકાર હતો કે તે ઇન્ટરનેટ પર લખેલી બાબતના આધારે કોઇ પણની ધરપકડ કરી શકતી હતી.

અત્રે એ નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીઓમાં આઇટી એકટની કલમ ૬૬એને પડકારવામાં આવેલ. અરજદાર શ્રેયા સિંઘલે કોર્ટના આ નિર્ણયને પોતાનો વિજય ગણાવતા કહ્યુ હતું કે, અદાલતે લોકોના પ્રવચન અને અભિવ્યકિતની સ્વતંત્રતાના અધિકારને યથાવત રાખેલ છે.

સોશ્યલ મિડીયા સાથે જાેડાયેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટીશ નરીમને કલમ ૬૬એને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સોશ્યલ મીડિયા પોસ્ટના આધારે કોઇની હવે ધરપકડ નહિ થાય પણ સરકાર - તંત્ર કોઇપણ પોસ્ટને વિવાદિત ગણે તો તે તેને હટાવવાનું કહી શકે છે.