28, નવેમ્બર 2021
396 |
ગાંધીનગર, ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમા શૈક્ષણિક સ્ટાફ અને વિધાર્થી વચ્ચે મારામારીની ઘટના બની છે. યુનિવર્સિટીના કુલપતિના અંગત મદદનીશ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે બેહૂદું વર્તન કર્યું હતું એટલું જ નહીં રજૂઆત કરવા ગયેલા દિનેશ આહિર નામના વિદ્યાર્થીને ઉગ્ર બની લાફો ઝીંકી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ચાલતી પી.એચ.ડી એડમિશન પ્રક્રિયામાં ઉભી થયેલી વિસંગતતા અંગે રજુઆત કરવા આવેલ વિધાર્થીને કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થી દિનેશ આહિર નામના વિદ્યાર્થીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પી.એચ.ડી એડમિશન પ્રક્રિયામાં યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા યુજીસીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના અંગત મળતિયાઓને સેટ કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ અંગેની રજૂઆત કરવા માટે હું અને અન્ય બે બહેનો પૂછપરછ માટે ગયા હતા. ત્યારે કુલપતિના અંગત મદદનીશ યોગેન્દ્ર પટેલે રજૂઆત નહીં સાંભળીને ઉગ્રતાથી વાત કરી હતી. એટલું જ નહીં ચિલ્ડ્રન યુનિવર્સીટીના કાર્યકારી કુલસચિવ અશોક પ્રજાપતિની હાજરીમાં બનેલીઆ ઘટનામાં રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીને યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હોવાનો સીધો આક્ષેપ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ચિલ્ડ્રન યુનિવર્સિટી ની ભરતી અને એડમિશન પ્રક્રિયા માં કુલપતિ હર્ષદ શાહ અને એમના અંગત મદદનીશ સહિત તમામ કર્મચારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે આ ઘટનાની તપાસ કમિટી દ્વારા કરવામાં આવે અને અશોક પ્રજાપતિ સામે કાર્યવાહીની માંગ છે.