અમદાવાદ-

સમગ્ર દેશ સહિત રાજયમાં તેમજ દરેક નાના મોટા શહેરોમાં ઉત્સવો અને તહેવારમાં સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં હજારો પરિવારો વસે છે. જે હાલની કોરોના મહામારીના કારણે ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2020ના મોટાભાગના ઉત્સવો, તહેવારની લોકો ઉજવણી કરી શક્યા નથી. હવે નવરાત્રિ અને દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્સવને સુશોભિત, સુગંધિત કરતી ચીજવસ્તુઓની ખરીદીમાં ભારે મંદી જોવા મળી રહી છે.

વર્ષોથી સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં વેપારીઓ નવરાત્રિ મહોત્સવને લગતી તમામ ચીજવસ્તુઓનો માલ ભર્યો છે. ફેન્સી હાર, ચુંદડીઓ, પૂજાની સામગ્રી તેમજ મંડપ સુશોભનની વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં છે. વિવિધતા અને ગુણવત્તાવાળી ઉત્સવની ચીજ વસ્તુઓ છે પણ હાલ 50 ટકા કરતાં પણ ઓછું વેચાણ છે. સરકારી ગાઇડલાઇન મુજબ મોટા આયોજનો થઇ શકશે નહીં એવી જાહેરાતને કારણે છેલ્લી ઘડીએ પણ માલ વેચાવવાની સંભાવના ખૂબજ ઓછી છે. જોકે ગ્રાહકો, માતાજીના ભક્તો મંદિર સજાવટ અને પૂજાપાની ખરીદી કરવા જરુર આવશે તેવી આશા હાલ વેપારીઓ રાખી રહ્યા છે. વર્ષ 2020માં રક્ષાબંધન, ગણેશોત્સવ, નવરાત્રિની ચીજવસ્તુઓ વેચવા માટે તૈયાર કરવામાં આવેલા મોટા મંડપ ગ્રાહકો વગર સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે. વેપારીઓને જગ્યાનું ભાડું ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે. હાલની કોરોના મહામારીના કારણે સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. કોરોનાના કારણે ચીજવસ્તુઓની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે. સામગ્રીનું વેચાણ થાઇ રહ્યુ છે.