વડોદરા

હાલમાં જ કોરોનાના બોગસ રિપોર્ટના આધારે મેડિકલેમ લેવાના બનાવો ગોત્રી અને જે.પી. રોડ ખાતે બહાર આવ્યા બાદ પાણીગેટ પોલીસ મથકે પણ ઘૂંટણની સર્જરીનો બોગસ મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવતાં પોલીસે ગુનો નોંધી ત્રણની અટકાયત કરી છે. ઘૂંટણની સર્જરીના ખોટા બિલો બનાવીને રૂા.૨.૫૮ લાખ રૂપિયાનો મેડિકલેમ પકવવાનું તરકટ રચનારા ડોકટર, લેબોરેટરીના કર્મચારી અને પતિ-પત્ની વિરુદ્ધ ઈન્શ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપીંડીના ગુના હેઠળ ડોકટર, લેબોરેટરીના કર્મચારિ અને મેડિકલેમ ધારકના પતિની અટકાયત કરી હતી, જ્યારે મેડિકલેમ રજૂ કરનારી મહિલા હજુ સુધી પોલીસની પકડમાં આવી નથી.

અમદાવાદ રહેતા ડો. કેયુરભાઈ પટેલ રોયલ સુંદરમ્‌ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમની કંપની જનરલ ઈન્શ્યોરન્સ પોલિસી આપવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશભાઈ કુકડિયા (રહે. કાન્હા ગોલ્ડ રેસિ, ડભોઈ રોડ, વડોદરા) હેલ્થ ઈન્શ્યોરન્સ મેળવ્યો હતો. ત્યાર બાદ ટીપીએ કંપનીને તેઓનો મેડિકલેમ પકવવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરીને કંપનીને સોંપ્યા હતા. સેજલબેને કંપનીમાંથી તા.ર૭ એપ્રિલ, ૨૦૧૯ના રોજ પોલિસી લીધી હતી જેની મુદત તા.ર૬ એપ્રિલ, ર૦ર૦ સુધી હતી. ત્યાર બાદ સેજલબેને તા.૧૬ જુલાઈ, ૨૦૨૦ના રોજ ડોકયુમેન્ટસ ટીપીએ કંપનીને જમા કરાવી રૂા.ર,પ૮,૯૮૪નો મેડિકલેમ મેળવવા માટે અરજી કરી હતી, જેથી કંપનીને શંકા જતાં અમારી કંપનીએ ખાનગી ઈન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ સંન્નધિ હોસ્પિટલના બિલ અને લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યા હતા.

તપાસ દરમિયાન હોસ્પિટલના ડોકટર અનિમેષ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા રેકોર્ડમાં ખાતરી કરતાં સેજલબેને હોસ્પિટલમાં સારવાર લીધી નથી અને હોસ્પિટલના ડોકયુમેન્ટનો દુરુપયોગ કર્યો છે. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે ડોકટર અનિમેષ સોલંકીએ જ સેજલબેનની સારવાર કરી ન હોવા છતાં ખોટી રીતે તેમની હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરીને સારવારની મેડિકલ હિસ્ટ્રી નોંધ કરી. સેજલબેનની સર્જરી કભરી તેને લગતી દવાઓ તેમજ સર્જિકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય તેવા તમામ ડોકયુમેનટ બનાવીને સેજલબેનનો વીમો પકવવા માટે મદદ કરી હતી. સેજલબેને ઝવેરી પેથોલોજી લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો જે બાબતે પણ ઝવેરી પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરતાં ડોકટર અંકિત ઝવેરીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી ૨૦૧૯માં બંધ થઈ ગઈ છે અને અમે કોઈ લેટરપેડ પર લખાણ આપ્યું નથી. અમારા લેટરપેટનો દુરુપયોગ થયો છે જેનું તેમણે લેખિતમાં લખાણ આપ્યું હતું. જેથી આ અંગે વધુ તપાસ કરવા માટે પાણીગેટ પોલીસ મથકમાં અરજી આપતાં તપાસ દરમિયાન મેડિકલેમ ફાઈલમાં રજૂ થયેલો લેબોરેટરીનો રિપોર્ટ અગાઉ ઝવેરી લેબોરેટરીમાં અને સંન્નધિ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી ચૂકેલા જાસ્મીન પટેલ નામની વ્યક્તિએ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

૨૦૧૯થી બંધ પડેલી લેબોરેટરીનો બોગસ રિપોર્ટ અગાઉ ઝવેરી લેબ.માં અને સંન્નધિ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી ચૂકેલા જાસ્મીન પટેલે બનાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે તેને પણ સકંજામાં લીધો છે.