ગાંધીનગર-

રાજયમાં કોવીડ -૧૯ ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા , હડતાળ , ફરજ પરથી અળગા રહેવા , દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે એમ આરોગ્ય વિભાગની યાદી મા જણાવાયુ છે.

યાદીમા વધુમાં જણાવાયાનુસાર આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ -૧ થી વર્ગ -૪ સુધીના સંવર્ગો જેવા કે તજનો , તબીબો , પેરામેડીકલ સ્ટાફ , નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાલ પર જઇ રહયા છે અને કેટલાકે હડતાલ પર જવાની ચીમકી આપીને માનવીય સેવામા વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. આરોગ્ય વિભાગની આવશ્વક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ -૧ થી વર્ગ -૪ ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડીકલ સ્ટાફ , નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ , નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારીત સેવાઓ આપતા તમામ વ્યકિતઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ -૧૯ ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે.આ માટે કોઇપણ જાતની રજા , હડતાળ , ફરજ પરથી અળગા રહેવા , દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે.