અમદાવાદ-

કોરોનાની રસી પૂણેથી દિલ્હી અને ત્યાંથી અલગ અલગ નિર્ધારિત રાજયોમાં આવી પહોચી છે. જે અંતર્ગત પ્રથમ જથ્થો કડક સુરક્ષા વચ્ચે અમદાવાદ ખાતે આવી પહોચ્યો હતો. કોવિશીલ્ડના ૫ લાખ ૪૧ હજાર ડોઝ સાથે રસીએ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતુ જે હવે, આગામી ૨૪ કલાકમાં રાજયનાં મહાનગરોમાં મોકલાશે જેમાંથી સૌરાષ્ટ્ર માટે ૭૭૦૦૦ ડોઝ રાજકોટ આવી જશે. આ માટે ખાસ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર આવશે અથવા તો ગાંધીનગરથી કોલ્ડ ચેઈન મારફત મોકલવામાં આવશે. ૭૭૦૦૦ ડોઝમાંથી રાજકોટ શહેર અને જિલ્લા માટે કેટલો જથ્થો તેમજ સૌરાષ્ટ્ર રિજિયોનલ હેઠળ આવતા જિલ્લા અને મનપાને કેટલો જથ્થો અપાશે તે માટે રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર કક્ષાએથી નિર્ણય લેવાશે.

વેક્સિન સૌરાષ્ટ્ર રિજિયોનલ વેક્સિન સ્ટોર પર આવશે જ્યાં પહેલાથી જ સ્ટોરની હેઠળ આવતા પોરબંદર, દ્વારકા, કચ્છ-ભુજ, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજકોટ, જામનગર મનપાની આરોગ્ય શાખાના વેક્સિન વાહનો તૈનાત હશે અને તે પોત પોતાના વિસ્તારમાં અને વેક્સિન બૂથમાં જથ્થો પહોંચાડશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી વેક્સિનના વધામણાં કર્યા હતા અને કહ્યું હતું કે, પીએમ, કેન્દ્ર સરકારનો આરોગ્ય મંત્રી તરીકે હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં આવેલ કુલ ડોઝમાંથી 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર RDD ઝોન હસ્તક 96000 ડોઝ રાખવામાં આવશે. 60000 ડોઝ ભાવનગર વિસ્તારમાં મોકલવામાં આવશે. 

આ ઉપરાંત વડોદરા માટે 94500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરા કોર્પોરેશન માટે 16400 ડોઝ, વડોદરા જિલ્લા માટે 10,438, નર્મદા 4215, છોટા ઉદેપુર 5879, ભરૂચ - 10119, દાહોદ - 12619, મહીસાગર 6730, પંચમહાલ 8419 ડોઝ ફાળવવામાં આવ્યા છે.