વડોદરા -

સરકાર અને શિક્ષણ માફીયાઓની મીલીભગતનાં કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ અને ઈશ્વરતુલ્ય શિક્ષકોનો જ ભોગ લેવાયો છે અને તેમાં પણ તાજેતરમાં સરકાર દ્વારા જે ફીમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, તે પણ છુપી શરતોને આધીન હોવાને કારણે આજે સાંજે દિવાળીપુરા કોર્ટથી વાલીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્લે કાર્ડ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ શાળાઓની ફી માં ૨૫% નો ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જોકે, સરકારનો આ ર્નિણય માત્ર એક લોલીપોપ સમાન હોવધી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓમાં સરકારના આ ર્નિણયને લઈને વધી રહેલા આક્રોશને પગલે આજે દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા વાલીઓ દ્વારા ૨૦૧૭થી જે શાળાઓએ એફ.આર.સી દ્વારા સૂચિત ફીથી વધુ ફી લીધી છે, તે પરત આપવામાં આવે અથવા તો સરભર કરી આપવામાં આવે, ફી અંગે કોઈ ર્નિણય લેતા પહેલા રાજ્યના તમામ વાલી મંડળોના અભિપ્રાય લેવામાં આવે, શિક્ષકોનું શોષણ બંધ કરી તેમને મળવાપાત્ર તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાંજે ૫ વાગે દિવાળીપુરા કોર્ટથી શરુ થયેલી આ સાયકલ રેલી ચકલી સર્કલ થઈને વીર સાવરકર સર્કલ, નટુભાઈ સર્કલ થઈને પરત હેવમોર સર્કલ ખાતે પહોંચી હતી. જ્યા વાલીઓએ વિવિધ પ્લે કાર્ડ સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો.