નવી દિલ્હી

કોરોના કાળમાં એલોપૈથી દવાઓના ઉપયોગ અને ડૉક્ટરના અકાળ મોત પર વિવાદિત ટિપ્પણી કરવા પર યોગગુરુ રામદેવની મુસીબતો વધવા લાગી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી ઉત્તરાખંડ સરકારને રામદેવ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આજે આઈએમએએ રામદેવને 1000 કરોડ રૂપિયાના માનહાનીની નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રામદેવ લેખિતમાં માફી માંગે.

માનહાનીની નોટિસમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને લખ્યું કે, જો રામદેવ પોતાના દ્વારા આપેલા નિવેદનનો વિરોધ કરતો વીડિયો પોસ્ટ ન કરે અને આગલા 15 દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે તો તેમના પર 1000 કરોડનો દાવો માંડવામાં આવશે.

અગાઉ આઈએમએના પત્રમાં રામદેવના એલોપૈથી ચિકિત્સા પ્રોફેશન અને ચિકિત્સા કર્મી વિરુદ્ધ આપવામાં આવેલ નિવેદનને લઈ વાંધો જતાવ્યો હતો. પત્રમાં કહેવાયું હતું કે મહામારીના સંકટમાં રામદેવે ડૉક્ટર્સના કર્તવ્યની મજાક ઉડાવી છે. રામદેવે જે કર્યું તેના માટે તેમના પર તાત્કાલિક સખ્ત કાર્યવાહી થવી જોઈએ. આ પત્ર ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતને લખવામાં આવ્યો હતો.

બીજી તરફ રામદેવે પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને ખુલ્લો પત્ર જાહેર કરતાં એલોપૈથીને પડકાર આપ્યો છે. રામદેવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફાર્મા કંપનીઓને ખુલ્લા ખતમાં 25 સવાલ પૂછ્યા હતા, જેમાંથી કેટલાય સવાલો તો હાસ્યસ્પદ છે.