દિલ્હી-

કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ માંગને વધારે તિવ્ર સ્વરૂપ આપતાં દિલ્હી એકમે રવિવારે સાંજે એક બેઠક કરીને પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ બેઠકમાં રજૂઆત થઈ હતી કે, કોંગ્રેસના અધ્યક્ષપદે ફરીથી રાહુલ ગાંધીને જ નિમવા જોઈએ. દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ આ મતલબનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો સર્વાનુમતિથી અનુમોદન કરવામાં આવ્યું હતું. યાદ રહે કે તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પતી ગયા બાદ જૂન મહિનામાં કોંગ્રેસના પ્રમુખની વરણી થવાની છે, જો કે દિલ્હી કોંગ્રેસે આ માટે અત્યારથી જ પોતાનું વલણ સાફ કરી દીધું હતું. 

દિલ્હી કોંગ્રેસ દ્વારા રવિવારે આ માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હોવાનું પક્ષના દિલ્હી એકમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું હતું. 2019માં પક્ષના પ્રમુખપદેથી રાહુલે રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી કાર્યકારી પ્રમુખ તરીકેનો કારભાર સંભાળી રહ્યા છે.