નવી દિલ્હી-

કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે શનિવારે 18મો દિવસ છે, ત્યારે ખેડૂતોએ હરિયાણા અને પંજાબના ટોલ પ્લાઝાને મુક્ત કર્યાં હતા. આજે શનિવારે ખેડુતો ટ્રેક્ટર કૂચ કરીને દિલ્હી-જયપુર હાઇવેને જામ કરશે. આ સાથે જ ખેડૂત આગેવાનોએ કડક વલણ સાથે 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે. એક તરફ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે, જ્યારે સરકાર કૃષિ કાયદાને ક્રાંતિકારી જણાવવાની ઝુંબેશમાં લાગી છે. FICCIના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ફરી એક વખત નવા કૃષિ કાયદાઓને ખેડૂતોનું નસીબ બદલનારા જણાવ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, હવે તમામ મુશ્કેલી દૂર કરવામાં આવી રહી છે. આ સુધારા બાદ ખેડૂતોને નવા બજારો મળશે. તેમને ટેક્નોલોજીનો લાભ મળશે. આ સાથે જ દેશના કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બનશે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આ તમામથી કૃષિ ક્ષેત્રોમાં વધુ રોકાણ થશે અને જો કોઈને સૌથી વધુ ફાયદો થવાનો છે તો મારા દેશના ખેડૂતને ફાયદો થશે. જે નાની-નાની જમીનના ટુકડાઓ પર પોતાનું જીવન ગુજારે છે. આ સાથે જ દેશના અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રમાં દિવાલો હોવી જોઈએ નહીં. આ દિવાલો તોડવા સુધારો કરવામાં આવ્યો છે. ખેડૂત નેતાઓએ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે. આ અંગે ખેડૂત નેતા કમલપ્રીત પન્નુએ જણાવ્યું હતું કે, સરકારે ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવા જોઈશે. ખેડૂતોને સુધારો મંજૂર નથી. આ સાથે જ તેમણે સરકાર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો નહોતો.