ગાંધીનગર, રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને ‘તૌકતે’ વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીએ હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. આ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને તેમની વેદનાઓ સાંભળી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, રાજયમાં વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં સુતેલી સરકાર જાગે. હવાઈ નિરીક્ષણ બંધ કરીને જમીન ઉપર ઉતરે, લોકોની સમસ્યાઓને સાંભળે, સમજે અને ખરેખર થયેલ નુકસાનનો સર્વે કરી સત્વરે ૧૦૦% વળતર ચૂકવે એવી લાગણી અને માંગણી વિપક્ષના નેતા ધાનાણીએ સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. ધાનાણીએ જણાવ્યું હતું કે, અતિવિનાશક વાવાઝોડું ૨૧૦ કિલોમીટરની તીવ્ર ઝડપે દરિયાકાંઠે ખાબકયું અને કોડીનારથી મહુવા વચ્ચેના આખાય દરિયાકાંઠા સહિત ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામડાઓને તબાહ કરી દીધા છે. આજે આપણે જાેઈ શકીએ છીએ કે, ૫૦ વર્ષ જુનું આંબાવાડિયું, કેસર કેરીનો બગીચો, બાળકની જેમ ઉછેરેલા છોડ આજ પુખ્તવયના થયા અને આવક આપતા થયા હતા અને પચાસ વર્ષ જૂના ઝાડ વાવાઝોડાની એક જ ઝપટે જમીનદોસ્ત થઈ ગયા, જડમૂળથી ઊખડી ગયા, તેમજ નાળિયેરીઓ ૫ વર્ષથી ૨૫, ૩૦, ૪૦ વર્ષ જૂના થડીયા કે જેના ઉપર ખેડૂતોના ઘરનું ભરણપોષણ થતું હતું, આ બધી જ નાળિયેરીને વાવાઝોડાએ જડમૂળથી ઉખેડી ફેંકી દીધી. વિપક્ષ નેતાની ઉના તાલુકાના અંજાર ગામની મુલાકાત દરમિયાન ખૂબ વરવા દ્રશ્યો નજર સામે આવ્યા હતા. નાળિયેરી અને કેરી જેવા બાગાયતી પાકના બગીચા સહિત ઉનાળુ પાક રફે-દફે થઈ ગયા, ઘરની અંદર ક્યાંક તલ, ડુંગળી કે જૂના પાકો કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ હોવાથી વેચાણ વગરના પડ્યા રહ્યા હતા એ આ ‘તૌકતે’ વાવાઝોડામાં સ્વાહા થઇ ગયા છે.