ઓલપાડ,તા.૧૦ 

કોરોનાના પગલે ભારત સરકારે સમગ્ર દેશમાં ૨૧ મી માર્ચથી કરેલ લોકડાઉન હટાવ્યા બાદ વીજ કંપનીએ ગ્રાહકોને ફટકારેલ મસમોટી રકમના વીજબીલથી લોકોમાં નારાજગી જાવા મળી રહી છે,ત્યારે ઓલપાડના રહીશોએ આ મામલે મોરચો માંડી ઓલપાડ સબ ડિવીઝન વીજ કંપનીની કચેરીમાં રાહત આપવા લેખિત રજુઆત કરી છે.

ઓલપાડના વીજ ગ્રાહકોએ ગુરૂવારે ડીજીવીસીએલની ઓલપાડ સબ ડિવીઝન કચેરીમાં લેખિત રજુઆત સાથે માંગ કરી છે કે અમો વીજ કંપનીના નિયમિત વીજ બીલ ભરતા ગ્રાહકો છે.વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારીના પગલે ભારત સરકારે ગત તા-૨૧ માર્ચથી કરેલ લોકડાઉનના પગલે લોકોની રોજીરોટી છીનવાય જવા પામી છે.તેવા સમયે ઓલપાડ વિભાગમાં વીજ બીલ વધુ પ્રમાણમાં આવતા ગ્રાહકો વીજ બીલ ભરી શકે તેમ નથી.જ્યારે ભારતીય રિઝર્વ બેંકના આદેશ મુજબ કોઇ પણ વ્યકિતના લોનના હપ્તા ચાલતા હોય,ત્યારે તેને મોરિટોરિયમ પિરીયડ આપવામાં આવે છે.તે રીતે વીજ બીલના નાણાં ભરવામાં વધુ સમયની મુદત આપવામાં આવે.જ્યારે હાલમાં વીજ ગ્રાહકોને દર બે માસે વીજબીલ આપવામાં આવે છે,તેના બદલે દર મહિને બીલ આપવામાં આવે તો સારું રહે.