અરવલ્લી,તા.૯      

અરવલ્લી જિલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે ૭ વર્ષ બાદ પણ સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ચઢતાં જિલ્લાના ૧૧ લાખ લોકો અને ગરીબી રેખા હેઠળ જીવતા અનેક પરિવારોને સિવિલ હોસ્પિટલના અભાવે ઉત્તમ અને નિઃશુલ્ક સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને ત્રણે ધારાસભ્યો જિલ્લામાં લોકોની તાતી જરૂરિયાત એવી સિવિલ હોસ્પિટલની માંગને લઈને સરકાર અને તંત્ર સામે લડી લેવાના મુડમાં હોય તેમ સતત વિરોધ પ્રદર્શન, પોસ્ટર વોર, આવેદનપત્ર અને મુખ્યમંત્રીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું નિર્માણ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના નિર્માણને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રતીક ઉપવાસની માંગ કરી હતી. કલેક્ટરે મંજૂરી ન આપવા છતાં જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરી સામે ધરણા કરતાં પોલીસે ૧૫થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માંગને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, માલપુર ધારાસભ્ય જશુભાઈ પટેલ અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે તંત્રને રજૂઆત કરી છે. છતાં આજદિન સુધી કોઈ પ્રગતિ થઈ નથી.સિવિલ હોસ્પિટલની માંગને લઈને તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા કોંગ્રેસે સિવિલ હોસ્પિટલ ક્યારે? ના બેનર હેઠળ ધરણા યોજ્યા હતા. કલેકટર કચેરી ખાતે કોંગી અગ્રણીઓ અને કાર્યકરોએ સરકાર વિરુદ્‌ધ સૂત્રોચ્ચાર કરી સિવિલની માંગ સાથે સરકાર પ્રજાજનોને અન્યાય કરતી હોવાના નારા લગાવ્યા હતા.ઉપવાસની મંજૂરી મળી ન હોવાથી પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.