અમદાવાદ-

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ ૩૦ દિવસના વચગાળાના જામીન માટે હાઈકોર્ટ અરજ કરી છે. દીનુ સોલંકીએ અરજીમાં એવી રજૂઆત છે કે પરિવારના ૧૪ સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના મોભી તરીકે તેમ જ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેમનું ઘરે જવું જરૂરી છે. હાઇકોર્ટમાં સી.બી.આઇ.એ દીનુ સોલંકીની જામીનનો વિરોધ કર્યો છે. કોર્ટે પણ દીનુ સોલંકીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાની સૂચના આપી છે.

આ કેસની વધુ સુનાવણી આવાતા અઠવાડિયો હાથ ધરવામાં આવશે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તે અત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને વતનમાં પરિવારના ૧૪ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેનો પરિવાર જ્યાં રહે છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ ડોક્ટરની સલાહ માટે તેમનું બહાર નીકળવું જરૂરી છે. પરિવાર અત્યારે ગંભીર અને નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યો હોવાથી પરિવારના મોભી તરીકે ત્યાં તેમની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. જેના માટે ૩૦ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામા આવે. દીનુ સોલંકીની જામીન અરજીનો સી.બી.આઇ. તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની દલીલ હતી કે આરોપીને અત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી આપી શકાય નહીં. આ ઉપરાંત તેઓ જેલમાંથી પણ જરૂરી વ્યવસ્થા કરી શકે છે, હાઇકોર્ટે પણ આરોપી ને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરવા મૌખિક સૂચના આપી છે.