રાજકોટ ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે વરસાદથી ડુંગળીના ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. હવે ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તો ખેડૂતો નવું વાવેતર કરી શકે એમ છે. કયારેક વરસાદની ખેંચને કારણે ધરતીપુત્રોને પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવે છે. અને, જયારે સારો વરસાદ થાય અને ખેડૂતોને સારો પાક મળે ત્યારે તેમને ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. જેથી દર વરસે ખેડૂતોને પાક વાવ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જેવી જ રહેતી હોય છે. ત્યારે ધોરાજીના ધરતીપુત્રો હાલ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલ ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક ફેલ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે. ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. અને ડુંગળીના પૂરતા પોષણક્ષમ ભાવના મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બાદમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ડુંગળીનો ઊભો પાક ફેલ થઈ ગયો હતો. આ વર્ષે સારો એવો વરસાદ થયો ખેડૂતોને સારા એવા ઉત્પાદન અને સારા એવા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોની આ આશા પર ધોરાજી પંથકમાં પડેલ ભારે વરસાદએ પાણી ફેરવી નાખ્યું.