દાહોદ, તા. ૮ 

નગરાળા ગામે ગત અઠવાડિયે કોરોના સંક્રમણના બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ ગામમાં કોરોનાના બે સક્રિય કેસ છે.દાહોદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ જણાવ્યું કે, નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન ઉમેરાય તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે. આ માટે રીક્ષામાં માઇક દ્વારા શેરીએ શેરીએ કોરોનાની સાવચેતી અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકોને કોઇ પણ પ્રકારના તાવ, ઉધરસ, શરદીના લક્ષણ જણાય તો સરકારી દવાખાનામાં કે ધન્વંતરિ આરોગ્ય રથ ખાતે તપાસ કરી લેવા જણાવવામાં આવી રહ્યું છે.