વડોદરા

કોરોનાની  સ્થિતિ બેકાબુ બને તે પહેલા લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વડોદરાના  વહીવટીતંત્રે કડકાઈ દાખવી છે. વડોદરામાં કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. જેની સામે આગોતરા આયોજન રૂપે જિલ્લા વહીવટીતંત્રે કેટલાક કદમ ઉઠાવ્યા છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે વડોદરાની આજુબાજુના જિલ્લા કે જ્યા કોરોનાના બહુ કેસ ના હોય ત્યાથી મેડીકલ સ્ટાફને વડોદરામાં બોલાવ્યા છે. વડોદરા શહેરમા ડેપ્યુટેશન ઉપર અન્ય જિલ્લામાંથી 50 ડોકટર, 200 નર્સને બોલાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે કોરોનાને વધતા અટકાવવા માટે દરેક જિલ્લામાં એક એક સનદી અધિકારીને ખાસ ફરજ પરના અધિકારી તરીકે જવાબદારી સોપી છે. વડોદરા શહેર માટે ડો. વિનોદ રાવને જવાબદારી આપી છે. ત્યારે વિનોદ રાવે, આજે 22 માર્ચને સોમવારના રોજ 12 સરકારી અને ખાનગી નર્સીગ કોલેજના આચાર્ય સાથે તાકીદની બેઠક બોલાવી છે. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને, નર્સિંગ સહાયક યોજના હેઠળ નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પ્રકીર્યા હાથ ધરવા અંગે ચર્ચા કરશે.

કોરોનાને વધુ વકરતો અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે લેવાનારા પગલાં બાબતે બોલાવેલી આજની બેઠકમાં હાજર નહીં રહેનાર વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.