હમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે, તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જોકે, ઘણાં લોકો તાંબાના વાસણોનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ફાયદા નહીં પણ ભયંકર નુકસાન થઈ શકે છે. ખાસ કરીને તમે તાંબાના વાસણમાં કયો આહાર અને કઈ વસ્તુઓ મૂકો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેમાં કેમિકલ રિએક્શન થાય છે અને ઘણીવાર આ રિએક્શન શરીરમાં બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે.

અથાણું, દહીં અને લીંબુનો રસ: 

તાંબાના વાસણમાં અથાણું રાખવાથી તેમાં રહેલો સરકો મેટલ સાથે મળી જાય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુ એસિડિક હોવાથી તે તાંબા સાથે મળીને રિએક્ટ કરે છે. તેનાથી એસિડિટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દહીંમાં રહેલાં બેક્ટેરિયા તાંબાની સાથે રિએક્ટ કરે છે. જેના કારણે પણ આ સમસ્યાઓ થઈ શકે છે.

ખાટ્ટા ફળો અને દૂધ :

તાંબાના વાસણમાં કોઈપણ પ્રકારના ખાટ્ટાં ફળ રાખવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી જાય છે. જેમ કે સફરજન, જામફળ, દાડમ, પાઈનેપલ વગેરે જેવા ફ્રૂટ્સ ક્યારેય ન રાખવા. નહીં તો ઊલ્ટી, ચક્કર આવવા અને ગભરામણની સમસ્યા થઈ શકે છે. સાથે જ તેમાં ગરમ કે ઠંડુ કોઈપણ પ્રકારનું દૂધ રાખવું નહીં. તેનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.