રાજકોટ-

કોરોના મહામારી માટેની કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના વેકસીન આવે ત્યારે તેને કેવી રીતે નાગરિકોને આપવી તે માટે દેશમાં ચાર સ્થળોએ કોરોના વેક્સીન આપવા માટેનો ડ્રાયરન યોજાયો છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્થળોએ ડ્રાયરન યોજવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન આપ્યા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી આરોગ્ય કેન્દ્ર ખાતે જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમજ એ તપાસવામાં આવશે કે કોરોના વેક્સીન આપ્યા બાદ આ લાભાર્થીને કોઈ આડઅસર થઈ છે કે કેમ, જો આવું ન થયું હોય તો તેને ત્યારબાદ ઘરે જવા દેવામાં આવશે. લાભાર્થીનું ઘરે ગયા બાદ પણ મોનીટરીંગ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન માટે આવનાર લાભાર્થીઓને એક દિવસ અગાઉ જ SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તેઓને ક્યાં સેન્ટર ખાતે વેકસીન માટે જવાનું છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે આ લાભાર્થી કોરોના વેક્સીન માટે આવે ત્યારે પ્રથમ તેમને જે SMS મોકલવામાં આવ્યો હોય તે આરોગ્ય કેન્દ્ર ખાતે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેમને આ કેન્દ્ર ખાતે પ્રવેશ આપવામાં આવશે.