અમદાવાદ-

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર "શાહીન" વાવાઝોડુ ટોળાઈ રહ્યું છે, અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં બીજુ તોફાની વાવાઝોડુ "શાહીન" ઉમટી રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે, જેના કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 48 કલાકથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, તેમાં પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મુજબ, 29 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 207 રસ્તાઓ બંધ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત 20 જિલ્લાઓમાં 207 રસ્તાઓ ભારે વરસાદને પગલે રસ્તા પાણીમાં ડૂબી જવાથી અથવા તો ધોવાઈ જતા બંધ કરવા પડ્યા હતા. જેમાં 6 સ્ટેટ હાઈવે, 197 પંચાયત રોડ તથા 1 નેશનલ હાઈવેનો સમાવેશ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગ તથા સુરતમાં 37, નવસારીમાં 24 અને ડાંગમાં 20 રસ્તાઓ બંધ છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.