રાજકોટ-

ગુજરાતના ૧૬૦૦ કિમી દરિયાઈ પટ્ટીના માછીમારી કરનાર લોકોની હાલત કફોડી બની ગઈ છે. પહેલા લોકડાઉન અને કોરોના મહામારીને કારણે માછીમારોને પરિવાર ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. તેનુ કારણ એ છે કે, ચીન સહિત વિદેશમાં ગયેલ ફિશનું પેમેન્ટ રોકાઈ જતાં તેઓને જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે. હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, માછીમારોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા પત્નીના દાગીના વેચવા પડી રહ્યાં છે. ગુજરાતના પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, દીવ સહિત અનેક દરિયાઈ પટ્ટીના માછીમારો હાલ મોટી મુસીબતનો સામનો કરી રહ્યાં છે. ત્યારે માછીમારો દ્વારા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સાંસદ પૂનમ માડમ, રમેશ ઘડૂક સહિત ૬ સાંસદોને આ વિશે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના માછીમારીઓ ગુજરાત સરકાર પાસેથી અનેક પ્રકારની માંગણી કરી છે.

જેમાં રાજ્ય સરકાર ડીઝલ વેટ પર ૧૦૦% ફ્રી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ કરીને આપવા માછીમારોએ માંગ કરી છે. માછીમારોએ કહ્યું કે, ચીનમાં અંદાજીત ૧૦૦૦ જેટલા કન્ટેનર ફસાયા છે. સરકાર ચાઇના સાથે વાતચિત કરી કન્ટેનર પરત મંગાવી ટ્રાન્સપોર્ટરોના રૂપિયા પરત અપાવે તો એ રૂપિયા માછીમારોને પરત મળી જાય. છેલ્લા ૫ થી ૭ મહિનાથી માછીમારોના રૂપિયા અટવાયા છે. છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતે ૫ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે, જેની સીધી અસર માછીમારો પર થાય છે. તો ચાલુ વર્ષે લોકડાઉને માછીમારોનું જીવન બરબાદ કરી દીધું છે.