આણંદ,તા.૧૩  

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત દરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોંચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આણંદના બાકરોલ ખાતે અંદાજે રૂ. ૨૧૨૬.૭૭ લાખના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧-૨ અને પીજી નવીન મકાનોનું ગાંધીનગરના નિવાસસ્થાનેથી ઈ-લોકાર્પણ કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જાેડાયાં હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા ઊંચ-નીચ, આગળ-પાછળ, જાતિ-જ્ઞાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભૂલી સૌ એક થઇને આગળ વધે એવો ભાવ આ સરકાર સાકાર કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સામાજિક સમરસતાનું આ સદભાવપૂર્ણ વાતાવરણ ડહોળાય, સંતુલન તૂટે એવા ગુજરાત વિરોધીઓના કારસાને પ્રજાવર્ગોએ નિષ્ફળતા આપી છે. ડાૅ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો-સંગઠિત બનોનો જે કોલ આપેલો તેને ચરિતાર્થ કરવા અને પછાતવર્ગોને વિકસિતોની હરોળમાં લાવવા રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ સવલતો, છાત્રાલયો, સમરસ હોસ્ટેલ્સ શરૂ કર્યા છે, તેવો મત સીએમએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ પણ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તેવી શુભેચ્છાઓ આપી હતી.

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવાં વ્યવસાય માટે પણ સહાય-પ્રેરણાં મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિગમથી મળી રહી છે, તેનો આભાર વ્યકત કર્યો હતો.

 આ અવસરે મુખ્યમંત્રીએ વડોદરા તથા નવસારીના જલાલપોરમાં આદર્શ નિવાસી કન્યા શાળાના અને ગાંધીનગર તેમજ ભાવનગરના મહુવામાં ડાૅ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના લોકાર્પણ કર્યા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતેના અંદાજે રૂ.૨૧૨૬.૭૭ લાખના ખર્ચે તૈયાર થયેલાં નવ નિર્મિત ૪ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે. દાસ, સામાજિક ન્યાય અધિકારિતા અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક નિનામા હાજર રહ્યાં હતાં. આણંદ ખાતે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજીયન, તાલીમી આઇએસ સચિનકુમાર, જિલ્લાના અગ્રણી મહેશભાઈ પટેલ, હસમુખભાઈ ચાવડા, માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઈજનેર એચ.ડી. રાઠોડ, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણના એ.કે. શેખ, મદદનીશ ઈજનેર જિતેન્દ્ર ભરાડિયા, પ્રોજેક્ટ ઓફિસર એ.આર. પરમાર, એ.આર. ગરાસિયા, અભિષેક પરમાર, નીક્ષાબેન બંસુ અને ડી.જી. રબારી, સુહાસિની કારપેન્ટર, એચ.કે. ચૌધરી સહિત અન્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.