અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપેરથી યોજવાની માંગ કરવા માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૧૦ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. આ અંગે અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે.આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદાર તરફે કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યના એકમોની ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આથી રાજ્યના ચૂંટણી પંચમાં વીવીપેટ ઉપલબ્ધ નથી. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનું ચૂંટણી પંચ જાહેરાત કરે. અરજદાર તરફે આ મુદ્દે ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જાેકે આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે. અરજદારે પીઆઈએલમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો છે.

૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશના લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.