વડોદરા, તા. ૨૧

દંતેશ્વર વિસ્તારમાં વિજયવાડી સ્થિત ઘાઘરેટિયામાં રહેતા ૩૬ વર્ષીય હસમુખભાઈ છગનભાઈ સોલંકી તેમના પત્ની ઉર્મિલાબેન સાથે મળીને સોમાતળાવ પાસે પાન-પડીકીનો ગલ્લો ધરાવે છે. ગઈ કાલે સવારે ઉક્ત દંપતીએ તેઓના મકાનની બાજુમાં રહેતા લતાબેન દિપક પરમારને તેઓના બાજુના વાડામાં દારૂની ખાલી પોટલીઓ અને બોટલો નાખવાની ના પાડતા ઉશ્કેરાઈને દંપતીને અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન લતાબેનનો પતિ દિપક તેમજ બહેન રમીલા જયંતિ પરમાર અને ભાણીયો મનીષ જયંતી પરમાર પર બહાર દોડી આવી અને તેઓએ અપશબ્દોનો મારો ચલાવી હસમુખભાઈને જાહેરમાં લાફા ઝીંક્યા હતા અને આ પૈકી દિપકે લાકડી વડે હસમુખભાઈને લાકડીના ફટકા માર્યા હતા તેમજ હવે અમારુ નામ લીધું છે તો તને જીવતો નહી છોડું તેવી ધમકી આપી હતી.

જયારે સામાપક્ષે લતાબેન દિપક પરમારે પણ પાડોશી દંપતી હસમુખ અને ઉર્મિલાબેન સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ દારૂની પોટલીઓ અને કચરો નાખવાના મુદ્દે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ઉર્મિલાબેને વાળ પકડી નીચે પાડી દીધા હતા અને તેમની પુત્રી ઉર્વશીને હસમુખે માથામાં લાકડીના ફટકા માર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે નોંધાયેલી ફરિયાદના પગલે મકરપુરા પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જાેકે આ પૈકી હસમુખભાઈને સગીરા સહિત પાડોશીઓએ લાફા મારી તેમજ લાકડીના ફટકા મારવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો અને આ અંગેની શહેર પો.કમિ.કચેરી ખાતે પણ ફરિયાદ કરવા માટે પરિવાર પહોંચ્યું હતું.