અરવલ્લી :  ભિલોડા તાલુકાના ઝૂમસર ગામનો કેવલ બેચરભાઈ પટેલ નામના આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા.મંગળવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લવાતાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. જય જવાન અને ભારત માતા કી જય,જવાનો અમર રહોના નારા વચ્ચે અશ્રુભીની આંખે ગામે શહીદને અંતિમ વિદાય આપતાં હાજર અસંખ્ય લોકોની આંખો ભીની થઈ હતી. દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આક્રંદ વચ્ચે નાજ વ્યકત કર્યો હતો. શહીદના પરિવારમાં ખુમારી અને દેશભક્તિમાં હજુ પણ જુસ્સો યથાવત છે. શહીદના પુત્રને પણ દેશસેવા માટે સેનામાં મોકલવા તૈયાર છે. શહીદ પરિવારમાં હાલ ૭ વર્ષીય પુત્રી અને ત્રણ વર્ષીય પુત્ર અને તેમની પત્નીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીન બન્યા હતા .ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના કેવલ બેચરભાઈ પટેલ છેલ્લા ૧૭ વર્ષથી દેશની જુદી જુદી સરહદો અને સ્થળોએ માં-ભોમની રક્ષા કરતા હતા હાલ અમદાવાદ આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. ફરજના ભાગરૂપે મહારાષ્ટ્રના પુના ગયા હતા, ત્યારે આર્મી જવાન કેવલ પટેલને બ્રેઈન હેમરેજ થતા મગજની નસ ફાટી જતા સારવાર દરમિયાન જીંદગી સામેનો જંગ હારી ગયા હતા.મંગળવારે સવારે જવાનનો નશ્વરદેહ વતન ઝૂમસર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓડ ઓનર સાથે જવાનની અંતિમક્રિયા કરાઈ હતી. આર્મી જવાનની અંતિમક્રિયામાં સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.