અમદાવાદ-

ગુજરાતમાં એક ભયંકર ડરનો માહોલ સર્જાયો છે. વધતા જતા કોરોનાના કહેર અને મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિથી પ્રજા પણ ફફડી ઊઠી છે. પરિણામે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં શહેરો હોય કે નાનાં ગામ, બધે જનતા કફ્ર્યૂ જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે, જનતા પણ કામ સિવાય બહાર નીકળતી નથી. એટલું જ નહીં, માસ્ક અને ડિસ્ટનસિંગના સંપૂર્ણ પાલન સાથે પ્રજા પણ એકદમ અલર્ટ બની ગઈ છે. એ જાેતાં કોરોનાની ચેન તોડવામાં બહુ લાંબો સમય લાગે એમ નથી.

ગુજરાતમાં રોજેરોજ વધતા જતા કોરોનાના કેસોની સાથે ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને દવા, ઇન્જેક્શનની પણ હાડમારી ઊભી થઇ રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ડોક્ટરો પણ વારંવાર પ્રજાને અલર્ટ રહેવા સમજાવી રહ્યા છે, જેથી પ્રજા પણ એકદમ જાગ્રત થઇ ગઇ છે. ગુજરાતનાં શહેરો કે ગામડાંમાં હાલ પરિસ્થિતિ જુઓ તો એકલદોકલ લોકો જ બહાર ફરતા જાેવા મળે છે. ખરીદી કરવાથી માંડીને ધંધા-રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરીને ઘરભેગા થઈ જાય છે.

શહેરનાં રસ્તાઓ, બજારો અને ચાર રસ્તાઓ પણ દિવસ દરમિયાન ભેંકાર ભાસી રહ્યાં છે. જનતાની આ જાગૃતિને કારણે જાણે આખા ગુજરાતમાં જનતા કફ્ર્યૂ હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પણ ઘરની બહાર નીકળતાં નથી. મહિલાઓ અને યુવાનો પણ માત્ર ઘરનાં કામ પૂરતાં જ બહાર નીકળે છે. એ દરમિયાન પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર સાથે સંપૂર્ણ અલર્ટ છે, સાથે સાથે ઘરમાં કોઈ સામાન્ય બીમારી પણ આવે તો તત્કાળ સારવાર કરવા લાગે છે. તેમાં પણ ઘરના ઉપચાર કરીને બીમારીને ફેલાતી અટકાવી રહ્યા છે.