ગાંધીનગર-

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચકાસણી કર્યા બાદ ઈવીએમ મશીન બરાબર કાર્યરત છે કે નહીં તે અંગે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મતદાન પ્રક્રિયામાં ઇવીએમ મશીન મુકવામાં આવશે જ્યારે મત ગણતરી દરમિયાન કોવિડ 19ને ધ્યાનમાં લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલ 8 બેઠકની પેટાચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈ કાલે મોડી રાત્રે કોર્પોરેશન અને નગરપાલિકાના વિસ્તારમાં સીમાંકન બાબતે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશનના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગર પાલિકાના આસપાસના વિસ્તારોને મહાનગરમાં સમાવી લેવામાં આવ્યાં હતાં ત્યારે હવે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ વિસ્તારોને ધ્યાનમાં લઈને નવા સીમાંકનની પ્રાથમિક જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા સીમાંકનને લઇને બેઠકમાં કઈ રીતનો ફરક પડશે અને કેટલી બેઠકો રીઝલ્ટમાં રાખવામાં આવશે તે અંગેની પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સીમાંકન નોટિફિકેશન દ્વારા ઉલ્લેખ કર્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા જેવા કોર્પોરેશન વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે નગરપાલિકાઓના વિસ્તારમાં પણ વધારો થયો હોવાનું પણ સીમાંકન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આમ પ્રાથમિક નોટિફિકેશનને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર માસના અંતમાં ચૂંટણી યોજાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ આગોતરા કરી લેવામાં આવી છે.