ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા ફિફાએ અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્લ્ડ કપ 2021માં 17મી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ દરમિયાન ભારતમાં યોજાશે. તેની મેચો ભારતમાં અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને નવી મુંબઈના મેદાનો પર રમાશે. આ શહેરો અંગે ફિફાએ અગાઉથી જ મંજૂરી આપી દીધી છે. વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ વચ્ચે 32 મેચ રમાશે.

અગાઉ આ ટુર્નામેન્ટ નવેમ્બરમાં યોજાનારી હતી પરંતુ કોરોના વાયરસને પગલે તેને મોકૂફ રખાઈ હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે રમતગમત સ્થગિત છે ત્યારે આયોજકોના મતે નવેમ્બરમાં ટુર્નામેન્ટ યોજવી શક્ય ન હતી તેથી તે હવે ફેબ્રુઆરી 2021માં યોજાશે.

ભારત બીજી વાર ફિફાની કોઈ આ પ્રકારની મેજર ઇવેન્ટની યજમાની કરી રહ્યું છે. અગાઉ 2017માં ફિફા અંડર-17 મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો. ટુર્નામેન્ટનો પ્રારંભ ગુવાહાટી અને ભુવનેશ્વરમાં એક જ દિવસે રમાનારી મેચથી થશે. યજમાન હોવાને નાતે ભારત આ ટુર્નામેન્ટમાં રમવા માટે કવોલિફાઈ થયું છે. તે ગ્રૂપ-એમાં રમશે. અમદાવાદમાં કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટની મેચો રમાશે.