ગાંધીનગર -

રાજ્યમાં ગુટખા ખાનારા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. રાજ્યમાં પાન-મસાલા ગુટકા, તમાકુ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.નાયબ મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે.

જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 10 હજાર જેટલી પેઢીઓની તપાસ કરીને અત્યાર સુધી રૂપિયા 11 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહી છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. 11 લાખ જેટલો દંડ વસૂલાત કરવામાં આવી છે.