ભાવનગર, મહુવા તાલુકાના નેસવડ ચોકડી પાસે આવેલા હરીપરા ગામ નજીક એક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં ગુરૂવારના રોજ વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ફાયર વિભાગને જાણ કરાતા મહુવા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ૧૦ થી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી પાંચેક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં ડીહાઈડ્રેશનનો તૈયાર કરેલો માલ બળીને રાખ થઈ જવા પામ્યો હતો.

મહુવાના નેસવડ ચોકડી નજીક હરીપરા ગામ પાસે આવેલ આર.એસ.ફુડ્‌‌સ નામની ઈમરાન મીનસારીયાના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં ગુરૂવારના રોજ વહેલી સવારે ૫ઃ૩૦ના અરસામાં અચાનક આગ લાગી હતી. આગની જાણ મહુવા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો.પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાંચેક કલાકની જહેમત બાદ દસથી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગના કારણે તૈયાર કરાયેલો એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. આગથી રૂા. ૧ કરોડથી વધુનું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.