ડાકોર, તા.૫ 

ખેડા જિલ્લાના સુપ્રસિદ્‌ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ઇતિહાસમાં પ્રથમ વખત રણછોડજીના દ્વાર ગુરુપૂર્ણિમાના અવસરે બંધ રહ્યાં હતા. જોકે, ગુરુપૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્‌ધાળું અહીં પહોંચ્યાં હતા. જે ઠાકોરના બંધ દ્રાર જોઇને નિરાશ થયાં હતાં. શ્રદ્‌ધાળુઓ ધોરી ધજા અને શિખરને દર્શન કરીને જ સંતોષ માનવો પડ્યો હતો. શ્રદ્‌ધાળુ ઓનલાઇન રણછોડજીના દર્શન કરી શકશે. આવતી કાલથી મંદિર દર્શનાર્થી માટે ખુલશે, પરંતુ દર્શનાર્થીઓએ પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે બંધ રાખવા સાથે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. નિજ મંદિરમાં જગતના નાથની સેવપૂજા કરવામાં આવી હતી.

જ્યારે ગુરુપૂર્ણિમાને લઈ લાખો ભક્તો ડાકોરધામમાં દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં. જોકે, પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવતાં રણછોડની ધોરી ધજા અને મંદિરના ડેરાના દર્શન કરી ભક્તોએ ગુરુ પરંપરા નિભાવી દર્શનની અનુભૂતિ કરી હતી. આવતીકાલથી મંદિર ખુલશે આજે ગુરુપૂર્ણિમાના દર્શનથી વંચિત રહેલાં ગુજરાતભરના ભક્તો માટે ડાકોર ટેમ્પલ કમિટીએ ખુશ ખબર આપી છે. આવતીકાલથી ગુજરાત રાજ્યના તમામ ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ભક્તોએ મંદિરની વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પોતાનું ઓળખકાર્ડ બતાવી દર્શન કરી શકશે. ભક્તોમાં આજે ગુરુપૂર્ણિમાના ઓનલાઈન દિવ્ય દર્શનનો લાભ સાથે દર્શન માટેની મંદિરની જાહેરાતથી ભક્તોમાં બેવડી ખુશીની લહેર વ્યાપી ગઈ છે.