લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, મે 2026 |
2871
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી.
જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોના યોગદાનને સ્વિકાર કરું છું. ભારતીય કંપનીઓએ અમેરિકન અર્થવ્યવસ્થામાં ૨૦ અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આ રોકાણ વધતું જ રહે. અમારી નવી ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરતી નથી, પરંતુ આ સિસ્ટમ આખા વિશ્વ માટે બનાવવામાં આવી છે. અમે તેને દુનિયામાં લાગુ કરી રહ્યા છીએ.’રુબિયોએ ભારતીયોના રિજેક્ટ થતાં વિઝા અને ગ્રીન કાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. આ બતાવે છે કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે.