અમદાવાદ, વડાપ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નીકટતા ધરાવતા પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે ટ્‌વીટર પર શોક સંદેશો પાઠવી શ્રદ્ધાંજલિ આપી હતી. કેશુભાઈ પટેલના ભાઈ ધરમશીભાઈ પટેલનું જૈફ વયે નિધન થયું હતું. તાજેતરમાં જ કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના ભાઈનું પણ અવસાન થતા તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર લખ્યું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના મોટાભાઈ ધરમશીભાઈના અવસાનથી દુઃખ થયું. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તેમના દીકરા અશ્વિન સાથે ફોર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ. કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે ૨૯ ઑક્ટોબરે નિધન થયું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું.