ગોધરા-

કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગોધરા શહેરના વાવડી બુઝર્ગમાં આવેલા જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 221મી જન્મજયંતીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે માત્ર પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે દર વર્ષે નીકળતી શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. તો બીજી તરફ જલારામ જયંતીની સંધ્યાએ યોજવામાં આવતો ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ રદ્દ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારી વચ્ચે તમામ દર્શનાર્થીઓ માસ્ક પહેરીને જ દર્શન કરવા આવે તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ દર્શનાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય અને સરકારની કોરોના ગાઇડલાઇન્સ ચુસ્ત પાલન થાય તેનું મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.