રાજકોટ-

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 96 કેસ અને 7 મોત નોંધાયા છે. તો અન્ય જિલ્લામાં જૂનાગઢ – 19, જામનગર – 22, સુરેન્દ્રનગર – 45, મોરબી – 12, અમરેલી – 11, ગીર સોમનાથ – 6, બોટાદ – 3, ભાવનગર – 7, દ્વારકા – 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને થઈ રહેલ ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરાશે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. લોકો સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં પણ કોરોના વિસ્ફોટ સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગરમાં 45 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ 45 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો જિલ્લાનો ફુલ કોરોના પોઝિટિવ આંક 2898 થયો છે.