ગાંધીનગર-

રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે. ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ક્ધટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. 

તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના ૫૦ ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. 

વધુમાં રાજ્યસરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરીત ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.